યુવા-સ્વર-૧૧

યુવાસ્વર:

આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.

 

-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.

સવાલો જવાબો: પાયલ ધોળકિયા
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે?

૧. સાહિત્ય એટલે "સ+હિત". સર્જન કરવું એજ કવિજીવનનું લક્ષ્ય છે. સાહિત્ય ન હોત તો દુનિયા અધૂરી અને અંધારી લાગત. માટે સાહિત્ય સર્જન એજ કવિધર્મ

૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું?

૨. કવિતા એટલે હ્ર્દયની ઊર્મિઓનો શબ્દદેહ.
જીવનનાં અનુભવોનો નિચોડ, પ્રણય, વિરહ અને વ્યથાનું તદ્ર્શ ચિત્રણ એટલે વાર્તા.
જિંદગીમાં જીવાતાં, ગમતાં, અણગમતાં પ્રસંગોનું વણાટકામ એ નાટક.

૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો?

૩. આપણો આ યુગ દિશાહીન યુગ છે. છતાં પોઝિટિવ વિચારો ને લઈને કરાતું સર્જન એ આજનાં યુગની મૂળભૂત જરૂરિયાત છે. જે તમને નેગેટિવ થીંકિંગથી દુર લઇ હકીકતથી રૂબરૂ કરાવે એ જરૂરી છે.

૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે?

૪. મારો ગમતો સર્જક પન્નાલાલ પટેલ છે. તેમની "મળેલાં જીવ", "માનવી ની ભવાઈ" જેવી કૃતિઓમાં માનવીય વિડંબણા, વ્યથા, ભૂખમરો વેઠ્યા છતાં અડગ રહેતાં માનવની કથા આલેખાઈ છે. તેમની ગ્રામીણ સરળ ભાષા મને સ્પર્શી જાય છે.

૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ?

૫. મારો ગમતો ભારતીય સર્જક રવીન્દ્રનાથ ટાગોર છે. વિશ્વ સાહિત્યની ગમતી રચના Earnest Hemingway ની The Old Man And The Sea છે.

૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે?

૬. વાંચનનો શોખ મારા દાદા પાસેથી વારસામાં મળેલો છે. એટલે ગોવર્ધનરામ ત્રિપાઠી, ચુનીલાલ મડિયા, દેસાઈ, પીતાંબર પટેલ વગેરે સર્જકોનાં સર્જન થી હું પ્રભાવિત છું. અને ઘાસલેટ સાહિત્યથી પર એવાં મૂર્ધન્ય સર્જક રત્નોની ભાષાની અમરતા અને વર્તમાન સમયમાં પણ ઉપયોગી થાય તેવા માનવીય સંબંધોની છણાવટ અને અંતરમાં રહેલી ઉર્મિઓ અને લાગણીની પૂર્ણતા કે અપૂર્ણતાનો કવિન્યાય મને ખૂબ ગમે છે.

૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો?

૭. કવિતા લખતી વખતે હું પ્રિયકાન્ત મણિયારને આદર્શ તરીકે સામે રાખું છું. તેમની આધ્યાત્મિકતા હૃદયસ્પર્શી છે.

૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ?

૮. કવિતા, વાર્તા, નિબંધ એ અંગત વસ્તુ છે. આથી સૌપ્રથમ હું મારી કવિતા મારા દાદાને વંચાવું છું અને એમનાં સૂચનો પણ સ્વીકારું છું.

૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે?

૯. સાહિત્ય સર્જનનાં વાંચન પછી ગુણવંત શાહ, મધુ રાય, ડૉ. જયંત ખત્રી, વીનેશ અંતાણી જેવાં સર્જકોની અથાગ મહેનત અને માનવ જીવનની આંટીઘૂંટી સફળતાપૂર્વક રજૂ કરવાનો કસબ મને ખૂબ ગમ્યો છે.

૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો?

૧૦. હું અનુસ્નાતકની પરીક્ષાની તૈયારી કરી રહી છું. સાથો સાથ શાસ્ત્રીય સંગીતમાં વિશારદ હોવાથી સંગીત અને સાહિત્યને પૂરતો ન્યાય મળી રહે એ રીતે મારો સમય કાઢી લઉં છું.

 

- પાયલ ધોળકિયા